રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ!, ફોરેસ્ટ વિભાગે મહંતની કરી ધરપકડ

By: nationgujarat
19 Nov, 2025

રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલાઆપા મંદિરમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા 52 જેટલા જીવતા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને મંદિરના મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરી છે. મહંત ‘નાગદેવતાનું મંદિર’ કહીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરતો હતો. વન વિભાગના જણાવ્યા મુજબ મંદિરમાં 100થી વધુ સાપ રાખવામાં આવ્યા હોવાની આશંકા છે.

મહંત મનુ મણિરામ દૂધરેજિયા છેલ્લા ઘણા સમયથી આ મંદિરમાં મોટી સંખ્યામાં સાપને ગેરકાયદેસર રીતે રાખીને તેને ‘નાગદેવતાનું મંદિર’ ગણાવીને ભક્તોને આકર્ષિત કરતો હતો. તે સોશિયલ મીડિયા પર પણ આનો પ્રચાર કરતો હતો, જેના કારણે ભોળા ભાવિકો મોટી સંખ્યામાં અહીં આવતા હતા.

વન વિભાગને આ અંગે બાતમી મળતાં જ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અલગ-અલગ જાતિના કુલ 52 સાપ મળી આવ્યા હતા, જેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વન વિભાગના અધિકારીઓએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ મહંત મનુ મણિરામ દૂધરેજિયાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


Related Posts

Load more